બુધવાર, 4 માર્ચ, 2026

રાષ્ટ્રોદયમાં જનસંઘ અને ભાજપનું યોગદાન: વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધી

 ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ તો થયું, પરંતુ વૈચારિક રીતે હજુ પણ ગુલામીની સાંકળોમાં જકડાયેલું હતું. તત્કાલીન શાસન વ્યવસ્થા પશ્ચિમી મોડેલને અનુસરી રહી હતી. આવા સમયે, ભારતની મૂળભૂત સાંસ્કૃતિક ઓળખને રાજનીતિના કેન્દ્રમાં લાવવા માટે ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ 'ભારતીય જનસંઘ'ની સ્થાપના કરી. આ માત્ર એક રાજકીય પક્ષ નહોતો, પણ ભારતને 'ભારતીયતા'ના આધારે બેઠું કરવાનું એક આંદોલન હતું.

કોઈપણ રાષ્ટ્રનો ઉદય ત્યારે જ શક્ય બને છે જ્યારે તેની રાજકીય વિચારધારા તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલી હોય. ભારતના આધુનિક ઈતિહાસમાં ભારતીય જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની યાત્રા એ માત્ર સત્તાના સંઘર્ષની વાત નથી, પરંતુ 'ભારત માતા'ને વિશ્વગુરુના સિંહાસન પર બિરાજમાન કરવાના પવિત્ર સંકલ્પની ગાથા છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ વાવેલું બીજ આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઘટાદાર વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવી રહ્યું છે.

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની યાત્રા એ માત્ર રાજકીય ઉતાર-ચઢાવની વાર્તા નથી, પરંતુ તે ભારતની ગુમાવેલી સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પુનઃસ્થાપિત કરવાનું એક અભિયાન છે. 'રાષ્ટ્ર પ્રથમ' ના મંત્ર સાથે શરૂ થયેલી આ સફર આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા સુધી પહોંચી છે.

 

૧. જનસંઘની સ્થાપના: વૈચારિક પાયો અને સંઘર્ષ

૧૯૫૧માં જ્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી, ત્યારે દેશમાં પશ્ચિમી વિચારધારાનો પ્રભાવ હતો. આવા સમયે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાઓને અનુરૂપ રાજનીતિ કરવા માટે 'ભારતીય જનસંઘ'ની સ્થાપના કરી. જનસંઘે દેશને 'એકાત્મ માનવવાદ' અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' જેવી મૌલિક ભારતીય વિચારધારા આપી.

કાશ્મીરનો પ્રશ્ન અને બલિદાન: જનસંઘનો પ્રથમ મોટો સંઘર્ષ કાશ્મીરની એકતા માટે હતો. "એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે" - આ સૂત્ર સાથે ડૉ. મુખર્જીએ જેલવાસ ભોગવ્યો અને શહાદત વહોરી. આ બલિદાન જ ભાજપની 'રાષ્ટ્ર પ્રથમ'ની નીતિનો પાયો બન્યું.

એકાત્મ માનવવાદ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ૧૯૬૫માં 'એકાત્મ માનવવાદ'નો સિદ્ધાંત આપ્યો. તેમણે સમજાવ્યું કે ભારતનો વિકાસ પશ્ચિમી મૂડીવાદ કે સામ્યવાદથી નહીં, પરંતુ માનવીના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસના સંતુલનથી જ શક્ય છે.

 

ભાજપની સ્થાપના અને લોકશાહીનું રક્ષણ

૧૯૭૫ની કટોકટીમાં લોકશાહી બચાવવા જનસંઘના નેતાઓએ જેલવાસ ભોગવ્યો અને બાદમાં જનતા પાર્ટીમાં વિલીનીકરણ કર્યું. પરંતુ ૧૯૮૦માં જ્યારે વૈચારિક મતભેદો સર્જાયા, ત્યારે ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈના દરિયા કિનારે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો.એ વખતે પ્રથમ સંબોધનમાં અટલ બિહારી વાજપેયીજીનું ઐતિહાસિક વિધાન હતું ‘અંધેરા છટેગા, સુરજ નિકલેગા, કમાલ ખીલેગા’

  • રામ જન્મભૂમિ આંદોલન: ૮૦ના દાયકાના અંતમાં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાએ ભારતના સુષુપ્ત રાષ્ટ્રવાદને જગાડ્યો. આ આંદોલને ભાજપને જન-જનની પાર્ટી બનાવી દીધી.

વાજપેયી યુગ: પરમાણુ શક્તિ અને સુશાસન

૧૯૯૮ થી ૨૦૦૪ સુધીનો અટલજીનો કાર્યકાળ ભારત માટે ગૌરવશાળી રહ્યો.

  • પોખરણ-૨: વિશ્વના દબાણ છતાં ભારતે પરમાણુ પરીક્ષણ કરી પોતાની સાર્વભૌમત્વતા સાબિત કરી.
  • સંપર્ક ક્રાંતિ: વડાપ્રધાન ગ્રામ સડક યોજના અને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા ભારતના ગામડાં અને શહેરોને જોડવાની મહાયોજના અમલમાં મૂકી.

નરેન્દ્ર મોદી કાળ: પરિવર્તનનું સુવર્ણ પ્રકરણ

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી પ્રચંડ બહુમતીએ ભારતમાં 'સુધારા, પ્રદર્શન અને પરિવર્તન' (Reform, Perform, Transform) ના યુગનો પ્રારંભ કર્યો. મોદીજીના શાસનમાં ભારતની છબી 'લાચાર દેશ'માંથી 'નિર્ણાયક દેશ' તરીકે બદલાઈ.

રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા

કલમ ૩૭૦ની નાબૂદી એ માત્ર કાયદાકીય ફેરફાર નહોતો, પરંતુ જનસંઘના સ્થાપકને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હતી. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા ભારતે સ્પષ્ટ કર્યું કે અમે ઘરમાં ઘૂસીને પણ મારી શકીએ છીએ. આજે સરહદો સુરક્ષિત છે અને આંતરિક સુરક્ષા મજબૂત બની છે.

સાંસ્કૃતિક અભ્યુદય

સદીઓ જૂના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક અને સોમનાથનો કાયાકલ્પ—આ બધું જ ભારતના 'સાંસ્કૃતિક પુનરુત્થાન'ના પ્રતિક છે. યોગને વિશ્વ સ્તરે માન્યતા અપાવી ભારતને 'વિશ્વગુરુ'ના પથ પર અગ્રેસર કર્યું છે.

આર્થિક સધ્ધરતા અને ડિજિટલ ઇન્ડિયા

ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને પહોંચવા જઈ રહ્યું છે.UPI ક્રાંતિને લીધે આજે વિશ્વના ૪૦% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે.સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબુત બનાવી આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે, જે યુવાનોને રોજગાર શોધનારને બદલે રોજગાર આપનાર બનાવી રહ્યું છે.

છેવાડાના માનવીનો વિકાસ (અંત્યોદય)

 

·       ૮૦ કરોડ લોકોને મફત અનાજ (PMGKAY).

  • ૧૨ કરોડ પરિવારોને શૌચાલય અને સ્વચ્છતા અભિયાન.
  • ૫૦ કરોડ લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર.
  • હર ઘર જલ યોજના દ્વારા પીવાના શુદ્ધ પાણીની સુવિધા.

 

વિશ્વમિત્ર તરીકે ભારત

આજે રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે ગ્લોબલ વોર્મિંગ હોય કે કપરો કોરોના કાળ હોય, દરેક વખતે વિશ્વ ભારત તરફ ઉકેલ માટે જુએ છે. G20ના સફળ આયોજને સાબિત કર્યું કે ભારત વૈશ્વિક એજન્ડા સેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કોરોના કાળમાં પણ વિશ્વના ૮૦ જેટલા દેશોમાં કોરોનાની રસી પહોંચાડી 'વસુધૈવ કુટુંબકમ'ની વિભાવનાને ચરિતાર્થ કરી બતાવી.દરેક મુસીબતોમાં ભારત આજે સમગ્ર વિશ્વનો સાથ આપી રહ્યું છે.

જનસંઘથી શરૂ થયેલી આ યાત્રા આજે 'વિકસિત ભારત ૨૦૪૭'ના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ભાજપના શાસનમાં ભારત પોતાની પ્રાચીન ઓળખ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય સાધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માત્ર પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ પોતાની ખોવાયેલી ગરિમા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે. આગામી પચીસ વર્ષનો 'અમૃતકાળ' એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.રાષ્ટ્રોદયમાં જનસંઘ અને ભાજપનું યોગદાન અદ્વિતીય રહેશે.

શુક્રવાર, 1 એપ્રિલ, 2022

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ : કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી

 યુનાન,મિશ્ર ઔર રોમ સબ મિટ ગયે જહાં સે,અબ તક મગર હે બાકી નામો-નીંશા હમારા,

સદીયો સે રહા હે દુશ્મન દૌરે જહાં હમારા, મગર કુછ બાત હે કી હસ્તી મિટતી નહીં હમારી.

કવિશ્રી ઇકબાલની આ પંક્તિઓ હિન્દુસ્તાનના ભવ્ય સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. ઇતિહાસવિદો અને સંશોધકોના અભ્યાસ મુજબ હિંદુ આર્ય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે.જે આજે પણ જીવંત છે અને જીવંત રહેશે. હજારો વર્ષોમાં હિન્દુસ્તાન ઉપર અનેક વખત આક્રમણો થયા. વર્ષો સુધી અનેક વિદેશીઓએ શાશન કર્યું તથા જુદાં જુદાં ધર્મનાં અનેક શાશનકર્તાઓએ રાજ કર્યું હોવા છતાં પણ ભારત તેનાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સાથે આજે પણ અડીખમ ઉભું છે. 'કુછ બાત હે કી હસ્તી મીટતી નહીં હમારીતેની પાછળનું રહસ્ય શું છે ? તો તેનો જવાબ છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’.

આપણી સંસ્કૃતિ એ જ આપણાં અસ્તિત્વનો મુખ્ય આધાર છે અને તેથી જ આપણાં રાષ્ટ્રવાદને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદકહેવામાં આવ્યો છે. ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. આપણી સંસ્કૃતિ એક વિશ્વના ભાવ સાથે જોડાયેલી છે. જે રીતે આત્મા વગરનું શરીર નકામું થઇ જાય છે તે જ રીતે સંસ્કૃતિ વગરનો દેશ નિષ્પ્રાણ થઇ જાય છે.પશુ-પક્ષી,જીવ-જંતુ,વૃક્ષો,નદી,પહાડ,સૂર્ય-ચંદ્ર એમ પ્રકૃતિના તમામ ઘટકો સાથેના સહઅસ્તિત્વનો સ્વીકાર તેમનાં પૂજન અને રક્ષણ તથા બધા પ્રત્યે ઉદારતા,સંવેદનશીલતા,માનવતા અને સહિષ્ણુતા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ભારતમાં બૌદ્ધ,ઈસાઈ,મુસ્લિમ,પારસી,જૈન વગેરે જેવા અનેક ધર્મના લોકો રહે છે. બધાની જ્ઞાતિ-જાતી તથા ધર્મ અલગ અલગ છે પરંતુ બધાની સંસ્કૃતિ એક જ છે.

આ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ એ હજારો-લાખો વર્ષોની તપશ્ચર્યાનું પરિણામ છે. હિંદુત્વ એ ભારતની મૂળ સંસ્કૃતિ છે. વિદેશી વિચારોથી પ્રભાવિત સંકુચિત માનસિકતા ધરાવતા કેટલાંક તત્વો હિંદુત્વને ધર્મના દાયરામાં સીમિત બનાવવાનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યાં છે.વાસ્તવમાં હિંદુત્વનો વિચાર સર્વગ્રાહી વિચાર છે. હિંદુત્વ સમગ્ર વિશ્વને સાચો માર્ગ બત્તાવવા સક્ષમ છે. હિંદુત્વ એ જ ભારત અને ભારત એ જ હિંદુત્વ અને હિંદુત્વ એ જ ભારતનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદછે.

૧૮૫૭ પછી અંગ્રેજોને સમજાયું કે ભારતની રાષ્ટ્રભાવનાનો આધાર રાજનૈતિક નથી પરંતુ તેનો આધાર સાંસ્કૃતિક છે. ૧૮૫૭ની લડાઈમાં ભારતીયોએ પંથ,સંપ્રદાય,ધર્મ તથા જાતિથી ઉપર ઉઠીને માતૃભૂમિની રક્ષા માટે બ્રિટીશ શાશનને પડકાર ફેંક્યો હતો.અંગ્રેજો ત્યારથી સમજી ગયા હતા કે ભારતની સાંસ્કૃતિક એકતા અને પ્રખર રાષ્ટ્રવાદને લીધે તેના પર સીધી રીતે વિજય મેળવવો અસંભવ છે. તેથી અંગ્રેજોએ તેની નીતિઓ બદલી ભારતની સાંસ્કૃતિક એકતાને ખંડિત કરવાના રસ્તાઓ અપનાવ્યા. બ્રિટીશનીતિઓનો ધ્યાનથી અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે હિન્દુત્વની સીમિત વ્યાખ્યા એ અંગ્રેજોની કુટનીતિની દેન છે. ભારતીય જનમાનસના ધર્મના આધારે ભાગલા પાડ્યા બાદ અંગ્રેજોએ ભારતની શિક્ષા પ્રણાલી અને અભ્યાસક્રમમાં પણ બહુ મોટા ફેરફારો કર્યા તેમજ પારંપારીક ભારતીય ભાષા,કળા-કૌશલ્ય,રીત રીવાજો,ખોરાક પદ્ધતિ તથા ઉદ્યોગોને પણ નાબુદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. ભારતીયોના મનોબળને દરેક રીતે તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં તેમને સંપૂર્ણ સફળતા ક્યારેય મળી નહીં.

દમનકારી બ્રિટીશ શાશનની સામે ક્રાંતિકારી આંદોલન પણ સક્રિય થયું હતું પરંતુ તેમાં પણ કોઈ જ્ઞાતિ-જાતી કે ધર્મનો ભેદભાવ નહોતો.પરાધીન ભારતના જનમાનસમાં નવચેતનાનો સંચાર કરવા તેમજ રાષ્ટ્રીય પુર્નજાગરણ માટે રાજા રામમોહન રાય,સ્વામી વિવેકાનંદ,લોકમાન્ય તિલક,મહર્ષિ અરવિંદ જેવા મહાનુભાવોએ અથાગ પ્રયત્નો કર્યા.આ બધાનું લક્ષ્ય હતું માતૃભૂમિની સ્વતંત્રતા અને તેમનું રાષ્ટ્રગાન હતું વંદેમાતરમ. આ જ મંત્ર સાથે દેશના સૈંકડો યુવાનોએ સ્વરાજ્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

ભારતમાં સીમાઓના આધારે રાજનૈતિક રાષ્ટ્રીયતાનો વિચાર આઝાદી મળ્યા પછીનો છે.આઝાદી પહેલાં દેશમાં ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોનું શાશન રહ્યું પરંતુ આખા દેશ પર તેમનો રાજનૈતિક એકાધિકાર નહોતો.વિદેશનીતિ,સરંક્ષણ,મુદ્રા વગેરે જેવી બાબતો તેમની પાસે હતી પરંતુ શાશન તેમના સિવાય ૬૦૦ જેટલાં રજવાડાંઓ,જમીનદારો તથા ગીરાસદારો પાસે હતું. અલગ અલગ રાજ્યો હોવા છતાં આ તમામ શાશકોએ ભારતનો એક રાષ્ટ્ર તરીકે સ્વીકાર કર્યો.સીમાઓથી આ રાજ્યો અલગ હતા પરંતુ સંસ્કૃતિથી બધા એક હતા.જેને આપણે અખંડ ભારત તરીકે પણ ઓળખીએ છીએ.

રાષ્ટ્ર પ્રત્યે અપ્રતિમ સમર્પણ એ ભારતીય સંસ્કૃતિની અનોખી દેન છે.ભારતનું નિયમન તેની સંસ્કૃતિ કરે છે,રાજનીતિ ક્યારેય રાષ્ટ્રનો આધાર બની શકી નથી.રાષ્ટ્ર એક સાંસ્કૃતિક એકમ છે અને રાષ્ટ્રીયતા તેનો પ્રાણ છે. ભારતમાં શાશન વ્યવસ્થા હંમેશા સંસ્કૃતિના જતન માટેનું ઉપકરણ બની રહી છે.જયારે જયારે શાશનકર્તાઓએ સંસ્કૃતિ વિરોધી ભૂમિકા અપનાવી છે ત્યારે જનતાએ તે શાશનકર્તાઓને બદલવામાં જરાપણ વિલંબ નથી કર્યો.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ આપણી રાષ્ટ્રીયતાનો પાયો છે.વિવિધતામાં એકતા તેનો આધાર છે.અલગ ધર્મ,અલગ જ્ઞાતિ,અલગ પ્રાંત,અલગ ભાષા,અલગ ખોરાક હોવા છતાં આપણી એક સંસ્કૃતિ,એક વિચાર,એક મુલ્યો,એક માન્યતા,એક ભારત એ જ આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે.આઝાદીના સાડા સાત દશકા પછી આજે પણ આપણે આ ભાવના ટકાવી રાખવાની આવશ્યકતા છે કારણકે પોતાની સતાભૂખ સંતોષવા માટે કેટલાંક રાજકીયપક્ષો અંગ્રેજોની નીતિ અપનાવી આપણને પ્રાંતના નામે,ધર્મનાં નામે,જ્ઞાતિ-જાતીના નામે અલગ પાડી આપણાં સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરી ફરીથી દેશ ને ટુકડાઓમાં વહેંચી રાજ કરવા માંગે છે.ત્યારે ફરીથી આપણાં દેશના ટુકડા ન થાય તે માટે આપણાં સાંસ્કૃતિક વારસાને યાદ કરી રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે કાર્યરત રાષ્ટ્રવાદી શક્તિઓને સાથ આપી અખંડ ભારતના નિર્માણમાં સહયોગી બનીએ તે જ અભ્યર્થના. ભારત માતા કી જય વંદેમાતરમ.


શુક્રવાર, 10 એપ્રિલ, 2020

વિદેશમાં રહી ભારતની આઝાદી માટે અહલેક જગાવનાર સૌરાષ્ટ્રના વીર સપુત ક્રાંતિવીર સરદારસિંહ રાણા.


ગુજરાતના બે સરદારોએ દેશની આઝાદી માટે અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું.એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનાં એકીકરણનું કાર્ય કર્યું. જ્યારે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રજોને ડરાવી તેમનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું હતું.

સરદારસિંહ રાણાનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના કંથારિયા ગામે થયો હતો.કંથારિયાની સામાન્ય શાળામાં ભણ્યાં બાદ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ભણવા ગયા.જ્યાં ગાંધીજી તેમનાં સહપાઠી હતાં.ગાંધીજી તેમને ‘સદુભા’ કહીને સંબોધન કરતા હતા.સરદારસિંહ નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર હતા તેથી લીંબડી ઠાકોર જશવંતસિંહજીએ તેમને અભ્યાસ માટે ઘણી સહાય કરી હતી.રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવી તેઓ ઉચ્ચશિક્ષણ અર્થે મુંબઈની એલ્ફીસ્ટન કોલેજમાં અને ત્યારબાદ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણ્યાં હતાં.આ દરમિયાન તેઓનો સંપર્ક લોકમાન્ય ટીળક તથા સુરેન્દ્રનાથ બેનરજી સાથે થયો.ત્યારથી જ તેઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.સરદારસિંહ રાણાના લગ્ન ભીંગડાના સોનલબા સાથે થયા હતા.તેમનાં બે પુત્રો હતા રણજીતસિંહ અને નટવરસિંહ.


સરદારસિંહને વધુ અભ્યાસ માટે લંડન જવું હતું પરંતુ આર્થિક સગવડતા નહોતી તેથી તેમણે તેમનાં માસીયાઈ ભાઈ અને લાઠીના રાજવી સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કવિ કલાપી)ને વાત કરી.કવિ કલાપી સાથે તેમને ભાઈ કરતા પણ વધારે મિત્રતાના સંબધો હતાં.વિદ્યાર્થીકાળથી જ તેમનાં વચ્ચે ઘનિષ્ઠ પત્ર વ્યવહાર થતો.કવિ કલાપી પોતાનાં મનની દરેક વાત સરદારસિંહને લખીને જણાવતાં.કવિ કલાપી તથા તેમનાં કહેવાથી લીંબડીના ઠાકોર તથા હડાળાના કાઠી દરબાર વાજસુર વાળાની આર્થીક મદદથી તેઓ લંડન પહોંચી ગયા અને બેરિસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી.

લંડન અભ્યાસ દરમિયાન તેઓ હીરા-ઝવેરાતના ધંધામાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા અને પોતાનો અભ્યાસનો ખર્ચ જાતે જ ઉપાડતા.લંડનમાં તેઓ કચ્છના માંડવીના વતની અને ક્રાંતિકારીઓના પ્રેરણાસ્ત્રોત એવા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ મેડમ ભીખાઈજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને તેઓએ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ની સ્થાપના કરી હતી.આ ‘ઇન્ડિયા હાઉસ’ ભારતની સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળનું મહત્વનું કેન્દ્ર બની ગયું હતી.

હીરા-ઝવેરાતના તેમનાં કામકાજને લીધે બેરિસ્ટર બન્યાં પછી સરદારસિંહ રાણા લંડનમાં આર્થિક રીતે પણ ઘણાં સમૃદ્ધ બન્યાં હતા.તેથી અત્યાર સુધી બીજાની મદદથી ભણેલાં સરદારસિંહે સમાજનું અને દેશનું ઋણ અદા કરવા પોતાના રૂપિયાથી સ્કોલરશીપ આપવાનું ચાલુ કર્યું હતું.તેમણે ‘મહારાણા પ્રતાપ’ તથા ’શિવાજી મહારાજ’ નામથી બે-બે હજાર રૂપિયાની ત્રણ સ્કોલરશીપ યોજના ચાલુ કરી હતી.આ યોજના હેઠળ ઘણાં ભારતીય છાત્રોએ ત્યાં શિક્ષણ મેળવ્યું હતું.તેમાં વિનાયક દામોદરરાવ સાવરકર(વીર સાવરકર) પણ સામેલ હતા.

શ્યામજી કૃષ્ણ વર્મા,સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાના નેતૃત્વમાં મદનલાલ ઢીંગરા,વીર સાવરકર,સેનાપતિ બાપટ, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવાં ક્રાંતિકારીઓની ગુપ્ત બેઠકો તેમનાં લંડન સ્થિત ‘ઇન્ડિયા હાઉસ’માં થતી.આ બેઠકમાં અંગ્રેજ સરકારને ઢંઢોળવા માટે ભારતના ઘોરવિરોધી એવાં લંડનના કર્ઝન વાયલીને ગોળીએ વીંધવાની યોજના સાવરકરજીએ તૈયાર કરી.આ કામ પાર પાડવાનું બીડું મદનલાલ ઢીંગરાએ ઝડપ્યું અને સરદારસિંહ રાણાએ તેને પિસ્તોલ લાવી આપી હતી.કર્ઝન વાયલીની હત્યા બાદ મદનલાલ ઢીંગરાને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યાં,સાવરકરની પણ ધરપકડ થઇ. પરંતુ સરદારસિંહ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યાં.

તેઓ ફ્રાંસના પેરિસમાં જઈને રહેવા લાગ્યા.આ ઘટના બાદ અંગ્રેજોએ તેમને દેશનિકાલ જાહેર કરી તેમની કંથારિયા ખાતેની જમીન પણ જપ્ત કરી લીધી હતી અને તેમનાં ભારત પ્રવેશ પર અંગ્રેજોએ કાયમી પ્રતીબંધ લગાવી દીધો હતો.તેથી તેમનાં પત્ની સોનબાએ તેમને પત્ર દ્વારા સંદેશો મોકલાવ્યો કે તેમણે ત્યાં બીજાં લગ્ન કરી લેવા જોઈએ જેથી બાકીનું જીવન જીવવામાં સરળતા રહે.ત્યારબાદ સરદારસિંહે જર્મન મહિલા રેસી સાથે લગ્ન પણ કર્યા હતા.

ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ જર્મનીમાં સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો.૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાનાર ઇન્ટરનેશનલ સોશિયલીસ્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેકે પોતાના દેશનો ધ્વજ લઇને હાજર રહેવાનું હતું.ભારતમાં તો અંગ્રેજોનું શાસન હતું તેથી ભારતનો કોઈ ધ્વજ નહોતો.તેથી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ ભારતનો ધ્વજ બનાવ્યો અને સૌ પ્રથમ વખત વિશ્વ ફલક પર ૨૨ ઓગષ્ટ ૧૯૦૭ના રોજ આ કોન્ફરન્સમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોના દમનકારી શાસન વિષે પ્રવચન આપ્યું હતું.

બનારસ હિંદુ યુનીવર્સીટીની સ્થાપના માટે દાન એકઠું કરવા માટે મદનમોહન માલવિયાજી પેરીસ ગયા ત્યારે સરદારસિંહે ૨૮ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરી આપી હતી.જેમાં ૫ લાખ રૂપિયાનું યોગદાન તેમનું પોતાનું હતું.

અંગ્રેજી,ફ્રેંચ તથા જર્મન ભાષાનાં જાણકાર એવાં સરદારસિંહ રાણા લડાયક મિજાજ અને પ્રગાઢ બુદ્ધિચાતુર્ય ધરાવતાં ક્રાંતિવીર હતાં.ભારતની આઝાદીની ચળવળમાં બોમ્બ અને પિસ્તોલના યુગની શરૂઆત તેમણે કરાવી હતી.સેનાપતિ બાપટ અને ઇન્દુલાલ યાજ્ઞિકને બોમ્બ બનવવાની તાલીમ માટે તેમણે રશિયા મોકલ્યા હતા.

વીર સાવરકરના ઐતિહાસિક પુસ્તક ‘વોર ઓફ ઈન્ડીપેન્ડન્સ – ૧૮૫૭’ને છપાવવાનું તથા તેને ચોરીછુપીથી ભારત પહોચાડવાનું કાર્ય પણ સરદારસિંહે પાર પાડ્યું હતું.લાલા લાજપતરાય સરદારર્સીહના પેરીસ ખાતેના નિવાસસ્થાને પાંચ વર્ષ રોકાયા હતા અને તે દરમિયાન જ લાલા લજપતરાયે ‘અનહેપ્પી ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું હતું.રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની સ્થાપનામાં પણ સરદારસિંહનું અમુલ્ય યોગદાન હતું.

અંગ્રેજોની કેદમાંથી છુટવા વીર સાવરકરે ફ્રાંસના માર્સેલ્સ બંદર નજીક સ્ટીમરમાંથી દરિયામાં છલાંગ લગાવી હતી ત્યારે અંગેજોએ ફરી તેની ફ્રાંસમાંથી ધરપકડ કરી હતી.વીર સાવરકરને છોડાવવા માટે સરદારસિંહ ત્યાંની આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ લડ્યાં હતાં.

સુભાષચંદ્ર બોઝના જર્મની ખાતેના નિવાસ દરમિયાન તેમનાં જર્મન રેડિયો પરનાં ઐતિહાસિક રેડિયો પ્રવચન તથા સુભાષબાબુની હિટલર સાથેની મુલાકાત ગોઠવવામાં પણ સરદારસિંહ રાણાની મુખ્યભૂમિકા હતી.

૧૯૫૫માં સરદારસિંહ રાણા પેરીસથી ભારત પરત આવ્યાં અને ૨૫મી મેં,૧૯૫૭માં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતેના સરકીટ હાઉસમાં હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.સરદારસિંહ રાણાના જીવન વિષે ફોટોગ્રાફ સાથેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે વિઝીટ કરો www.sardarsinhrana.com



સોમવાર, 6 એપ્રિલ, 2020

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક


૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે.

૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં અખીલ ભારતીય જનસંઘનામથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષની રચના થયેલી.દેશભરમાં જનસંઘ એક મજબુત વિપક્ષ તરીકે ઉભરી રહ્યો હતો.૨૬ જુન ૧૯૭૫ના રોજ ઇન્દિરા ગાંધીએ પોતાની સતા ટકાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી.કટોકટીના ૨૧ મહિના બાદ ૧૯૭૭માં સામાન્ય ચૂંટણીની ઘોષણા થઇ ત્યારે ઇન્દિરા ગાંધીની તાનાશાહી અને અત્યાચારોથી દેશને મુક્ત કરાવવા માટે દેશના તમામ વિરોધીદળોએ એકજુથ થઇ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી.દેશહિત માટે ભારતીય જનસંઘે પણ જનતા મોરચામાં વિલીન થવાનો નિર્ણય લીધો.

૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં જનતા મોરચાનો ૩૪૫ બેઠકો પર વિજય થયો. જેમાં જનસંઘના ૯૪ ઉમેદવારો વિજયી થયાં હતા.મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં સરકાર બની.જેમાં અટલબિહારી બાજપાઈને વિદેશમંત્રી તથા લાલકૃષ્ણ અડવાણીને સુચના-પ્રસારણમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.આ દરમિયાન ૧૯૭૯માં જનતા મોરચાના ચૌધરી ચરણસિંહ,રાજનારાયણ અને જગજીવનરામે જનસંઘના નેતાઓ કે જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સ્વયંસેવક હતા તે બાબતનો વિરોધ કરી બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવી જો સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્યતા છોડવી પડશે તેવી જાહેરાત કરી.જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી રાજીનામું આપ્યું અને સત્તાનો ત્યાગ કર્યો.

૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ અટલબિહારી બાજપાઈની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ અને ચૂંટણી ચિન્હ તરીકે કમળનું નિશાન નક્કી થયું.મુંબઈના પ્રથમ અધિવેશનના ઐતિહાસિક ભાષણમાં અટલજીએ કહ્યું હતું કે,’અંધેરા છટેગા,સુરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’.

૧૯૮૪માં ભાજપાએ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો અને ૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો.જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી એ.કે.પટેલ અને આંધ્રપ્રદેશની હનામકોડા બેઠક પરથી ચંદુપાટિયા રેડ્ડી ચૂંટાયા હતા.ત્યારે કોંગ્રેસ દ્વારા કુંટુબ નિયોજનના નારા – ‘હમ દો-હમારે દોનો ઉલ્લેખ કરી સાંસદમાં ભાજપાની મજાક ઉડાડી હતી.પાંચ વર્ષ પછી ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપાનો ૮૬ બેઠકો પર વિજય થયો હતો,૧૯૯૧માં ફરીથી ચૂંટણીઓ આવી તેમાં ભાજપાની બેઠકો વધીને ૧૨૦ સુધી પહોંચી ગઈ.

૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રામમંદિરના સમર્થનમાં સોમનાથથી અયોધ્યા અને મુરલીમનોહર જોશીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક્તાયાત્રા કાઢી હતી.જેનાં આયોજનની સંપૂર્ણ જવાબદારી નરેન્દ્રભાઈ મોદીએ સાંભળી હતી અને પોતાના જીવના જોખમે કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવી આતંકવાદીઓને લલકાર્યા હતા.

૧૯૯૬માં પ્રથમ વખત ભાજપાને અટલબિહારી બાજપાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો પરંતુ બહુમત સિદ્ધ ના થવાને લીધે ફક્ત ૧૩ જ દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.ત્યારબાદ ૧૯૯૮માં ફરીથી ચૂંટણીઓ થઇ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની પરંતુ બહુમત ના હોવાને કારણે ૧૩ મહિનામાં સરકાર તૂટી ગઈ.૧૯૯૯માં ભાજપાની આગેવાનીમાં એનડીએ(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને પૂર્ણ બહુમતી મળી અને પુનઃ એકવાર અટલજી પ્રધાનમંત્રી બન્યા.તેમનાં શાસનમાં પોખરણ પરમાણું પરીક્ષણ થયું અને પાકિસ્તાન સામે કારગીલનું યુદ્ધ પણ જીત્યું હતું.૨૦૦૪થી ૨૦૧૪ સુધી ફરી કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર સતામાં આવી.

આ દરમિયાન ગુજરાતમાં એક કરિશ્માયુક્ત ઓજસ્વી જનનેતાનો ઉદય થઇ ચુક્યો હતો.ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપાની સરકાર હતી.૨૦૦૧માં કેશુભાઈ પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.તેમની પ્રશાસકીય સુઝબુઝ,પ્રમાણિક શાસન વ્યવસ્થા અને વિકાસની રાજનીતિએ દેશભરનાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.તેમનાં શાસનકાળમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી હતી.૨૦૧૪ આવતાં સુધીમાં તો તેમની લોકચાહના દેશભરમાં ફેલાઈ ચુકી હતી અને દેશના લોકો તેને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જોવા લાગ્યા હતા.કોંગ્રેસના છેલ્લાં દસ વર્ષના ભ્રષ્ટાચારી શાસન સામે જનતા ઈમાનદાર અને રાષ્ટ્રપ્રેમી શાસક તરીકે નરેન્દ્રભાઈ મોદીને સ્વીકારી ચુકી હતી.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ એકલે હાથે ૨૮૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી.

૧૯૮૦થી લઇ આજસુધીમાં ૧૧ કરોડ સદસ્યો સાથે ભાજપા દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.સૌના સાથ સૌના વિકાસની નીતિ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈના નેતૃત્વમાં આ સમય દરમિયાન સરકાર અને સંગઠન એમ બંને મોરચે ભાજપાએ વિકાસના નવા વિક્રમો સ્થાપિત કર્યા અને દેશનાં ૧૭ જેટલાં રાજ્યોમાં ભાજપાની સરકાર બનાવી દેશનાં ૬૦ટકા ભૂભાગ પર ભાજપાનો ભગવો લહેરાવ્યો.

આ પાંચ વર્ષના સમયગાળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં સર્વાંગીણ વિકાસ માટે મહત્વના નિર્ણયો લીધા,પ્રમાણિક શાસન આપ્યું અને દેશના છેવાડાના માનવીને પણ લાગ્યું કે આ સરકાર મારા માટે કામ કરે છે.જનધન એકાઉન્ટ,ઉજ્જવલા યોજના,મુદ્રા યોજના જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે ઉન્નતિના દ્વાર ખોલ્યાં.જેનાં પરિણામે ૨૦૧૯ની ચુંટણીઓમાં પણ ૩૦૩ બેઠકો સાથે ફરી એકવાર દેશમાં ભાજપાની પૂર્ણ બહુમતવાળી સરકાર બની.

૧૯૮૦ થી ૨૦૧૯ સુધીની ભાજપાની આ વિકાસયાત્રામાં કરોડો કાર્યકર્તાઓનો પુરુષાર્થ મહત્વનો રહ્યો છે.ભાજપાના કાર્યકરો વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશના મંત્ર સાથે ભારત માતાને પરમવૈભવના શિખર પર પુનઃ આરૂઢ કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે પ્રતિબદ્ધ હોય છે.વિશ્વની કોઈપણ રાજકીય પાર્ટી પાસે આવા કરોડો સમર્પિત કાર્યકર્તાઓની ફૌજ નથી.

રાષ્ટ્રપ્રથમની વિચારધારા,મજબુત,પ્રમાણિક અને કુશળ નેતૃત્વ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફૌજ એ જ ભાજપાની સફળતાનું રહસ્ય છે.

શનિવાર, 4 એપ્રિલ, 2020

‘એક રાષ્ટ્ર – એક ચૂંટણી’ - આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીની એક ઝલક.

સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ઓક્ટોબર ૧૯૫૧ થી ફેબ્રુઆરી ૧૯૫૨ સુધીમાં કુલ ૫ મહિનાના સમયગાળામાં સંપન્ન થઇ હતી.આ પ્રથમ ચૂંટણીમાં ૪૮૯ લોકસભા બેઠકો હતી.આ ચૂંટણીઓ બાદ ૧૯૫૨માં આઝાદ ભારતની પ્રથમ લોકસભાનું ગઠન થયું હતું.જેમાં ૩૬૪ બેઠકો  સાથે કોંગ્રેસને બહુમતી મળી હતી અને જવાહરલાલ નેહરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.આચાર્ય નરેન્દ્ર દેવ,જયપ્રકાશ નારાયણ અને ડો.રામ મનોહર લોહિયાના નેતૃત્વવાળી સોશીયલીસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો,આચાર્ય જે.બી.કૃપલાનીના નેતૃત્વવાળી કિસાન મજદૂર પ્રજા પાર્ટીને ૯ બેઠકો, હિંદુ મહાસભાને ૪ બેઠકો, ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં ભારતીય જનસંઘને ૩ બેઠકો, રિવોલ્યુશનરી સોશિયલીસ્ટ પાર્ટીને ૩ તથા શીડ્યુલકાસ્ટ ફેડેરેશનને ૨ બેઠકો મળી હતી.

એક રાષ્ટ્ર એક ચૂંટણી : 

આજે જયારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વન નેશન-વન ઈલેકશનની વાત કરે છે ત્યારે કોંગ્રેસીઓ તેનો વિરોધ કરે છે.પરંતુ ખુબ ઓછાં સંશાધનો હોવાં છતાં ૧૯૫૨માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકીસાથે જ યોજવામાં આવી હતી.આ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ લોકસભાની ૪૮૯ અને ૨૬ રાજ્યોની વિધાનસભાઓની કુલ ૩૨૮૩ બેઠકો માટે યોજાઈ હતી.જેમાં ભારતના ૧૭,૩૨,૧૨,૩૪૩ નોંધાયેલા મતદાતાઓ હતા તેમાંથી ૧૦ કરોડ ૫૯ લાખ લોકોએ મતદાન કર્યું હતું.

શ્રી જી.વી.માવલંકર પ્રથમ લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.પ્રથમ લોકસભામાં કુલ ૬૭૭ સત્રો થયા, જે મુજબ અંદાજે ૩,૭૮૪ કલાકનું કામકાજ થયું હતું.આ લોકસભાનો કાર્યકાળ ૧૭ એપ્રીલ ૧૯૫૨ થી ૪ એપ્રીલ ૧૯૫૭ સુધીનો રહ્યો હતો.પ્રથમ ચૂંટણી વખતે દેશનો સાક્ષરતાદર માત્ર ૧૫ ટકા હતો.તેથી આ વાતને ધ્યાનમાં રાખીને મતપત્રક પર નામ કે ચૂંટણી ચિન્હ છાપવામાં નહોતું આવ્યું પરંતુ દરેક પાર્ટી માટે અલગ-અલગ મતપેટી રાખવામાં આવી હતી.જેનાં પર જે-તે પાર્ટીનાં ચૂંટણી ચિન્હો લગાવવામાં આવ્યા હતા.જેને જે પાર્ટીને મત આપવો હોય તે પાર્ટીનાં ડબ્બામાં પોતાનું મતપત્રક નાંખે તે મુજબ કુલ ૨ કરોડ ૧૨ લાખ મતપેટીઓ બનાવવામાં આવી હતી.ત્યારે કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ બળદની જોડીહતું જયારે ભારતીય જનસંઘનું ચિન્હ દીવડોહતું.પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ સુકુમાર સેન (આઈ.સી.એસ.)ની મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.૫૬૦૦૦ કર્મચારીઓ,૨.૮૦ લાખ સ્વયંસેવકો તથા ૨૪ લાખ પોલીસ કર્મચારીઓની મદદથી તેમણે આ એક રાષ્ટ્ર એક ચૂંટણીની કામગીરી પાર પાડી હતી.

કોંગ્રેસ પર ગેરરીતીના આક્ષેપો

દેશની પ્રથમ લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં કામચલાઉ સરકારનું ગઠન થયું હતું. જેમાં સતા કોંગ્રેસને સોંપવામાં આવી હતી અને વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુ હતા.ગાંધીજી અને સરદાર પટેલના નિધન બાદ કોંગ્રેસમાં નેહરુની આપખુદશાહીને રોકવા કે ટોકવાવાળું કોઈ રહ્યું નહીં. તે સમયે પણ નેહરુ અને કોંગ્રેસ સામે ચૂંટણીમાં ગેરરીતી કરવાના અનેક આક્ષેપો થયેલાં.પ્રથમ ચૂંટણી વખતે સતા પોતાની પાસે હોવાથી નેહરુએ અધિકારીઓની મિલીભગતથી અનેક ગેરરીતિઓ આચરી હતી.અમુક ગ્રામ્ય તથા પહાડી વિસ્તારોમાં તો મત આપનાર ને એક-એક કંબલ અને પિસ્તોલનું લાયસન્સ આપવામાં આવેલાં.તે વખતે આજના સમય જેવી ટેકનોલોજી નહોતી,મીડિયા પણ ખુબ મર્યાદિત સંશાધનો સાથે કામ કરતુ અને મોટાં ભાગના લોકો અભણ હતા તેથી લોકોમાં પણ જાગૃતતાનો અભાવ હતો તેથી તે સમયની ગેરરીતિઓ બહુ સામે આવી નહોતી. પરંતુ ચૂંટણી પછી લોકસભાના સત્રોમાં વિરોધપક્ષો દ્વારા કોંગ્રેસની ગેરરીતિઓ અંગેના પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના પરિણામોને પડકારવામાં પણ આવ્યાં હતા.
જોકે પોતાની સતાના જોરે નેહરુ યેનકેન પ્રકારે આ બધી વાતોને દબાવી દેવામાં સફળ રહયા હતા.

ભારતીય જનસંઘની સ્થાપના અને કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીની શહીદી.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ હતું.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેનાં સખ્ત વિરોધી હતા.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને અલગ ધ્વજ,અલગ બંધારણ,અલગ વડાપ્રધાન અને કાશ્મીરમાં પ્રવેશ માટે પરમીટપ્રથાની મંજુરી સાથે ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.

જવાહરલાલ નેહરુની રાષ્ટ્રવિરોધી અને હિંદુ વિરોધી નીતિઓના વિરોધમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ ઉદ્યોગમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.પરંતુ તેઓ નેહરુ સરકારની કાશ્મીર અંગેની કુનીતિઓનો સંસદની અંદર અને બહાર વિરોધ કરતાં રહ્યા.થોડાં સમય સુધી તેઓ પાર્ટી વગરના નેતા તરીકે કાર્યરત હતા.આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂજ્ય શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી)ને મળ્યા.પુ.ગુરુજીએ તેમને રાષ્ટ્રીય એકતા તથા ભારતની અખંડીતતાની રક્ષા માટે નવી રાજકીય પાર્ટી બનાવવાનો આગ્રહ કર્યો અને તેનાં માટે સંઘના કેટલાંક વિશ્વાસુ અને ચુનંદા કાર્યકર્તાઓ આ કાર્ય માટે આપવાનું વચન આપ્યું.પં.દીનદયાળ ઉપાધ્યાય,બલરાજ મધોક,ભાઈ મહાવીર,એટલબિહારી બાજપાઈ,નાનાજી દેશમુખ,કુશાભાઉ ઠાકરે,સુંદરસિંહ ભંડારી,જગદીશપ્રસાદ માથુર સહીતના કાર્યકર્તાઓને પુ.ગુરુજીએ આ કામ માટે સંઘના કાર્યમાંથી મુક્ત કર્યા

ડો.મુખરજીએ આ બધાં કાર્યકર્તાઓ સાથે અનેક ચિંતન બેઠકો કરી અને ઘણાં વિચારવિમર્શ બાદ ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ દિલ્હી ખાતે ‘ભારતીય જનસંઘ’નામની રાજકીય પાર્ટીની ઘોષણા કરવામાં આવી અને તેનાં પ્રથમ અધ્યક્ષની જવાબદારી ડો.શ્યામાપ્રસાદ મુખરજીને સોંપવામાં આવી.

દિલ્હીમાં પ્રથમ કાર્યકર્તા સંમેલનને સંબોધતા ડો.મુખરજીએ કહ્યું હતું કે,’’આપણે પૂર્ણ વિશ્વાસ,આશા અને હિંમત સાથે આપણું કાર્ય કરીશું.આપણાં કાર્યકર્તાઓ સદાય યાદ રાખે કે ફક્ત સેવા અને બલિદાનના માધ્યમથી જ જનસમૂહનો વિશ્વાસ જીતી શકાય છે.ભારતનાં પુનર્નિર્માણનું મહાન કાર્ય આપણી રાહ જોઈ રહ્યું છે.આપણો પક્ષ કોઈપણ ભેદભાવ વગર દરેક જ્ઞાતિ-જાતી,ધર્મ-સમુદાયના લોકોને આવકારે છે.વિધાતા આપણને કોઈપણ પ્રકારની લોભ-લાલચમાં પડ્યાં વગર સાચા માર્ગ પર આગળ વધવાની શક્તિ આપે અને ભારતને ફરીથી મહાન તથા સશક્ત રાષ્ટ્ર બનનાવાનાં કાર્યમાં સહાય કરે તે જ પ્રાર્થના.’’

ડો.મુખરજી સઘન પ્રવાસ દ્વારા લોકોને મળી રહ્યાં હતાં અને સંગઠનનું કાર્ય જોરશોરથી આગળ વધારી રહ્યાં હતા.દેશભરમાં વધી રહેલી તેમની લોકપ્રિયતાથી અકળાઈને એકવાર સંસદમાં જવાહરલાલ નેહરુએ ડો.મુખરજીને કહ્યું કે,’’હું જનસંઘને કચડી નાંખીશ.’’ ત્યારે તેનાં પ્રત્યુતરમાં ડો.મુખરજીએ કહ્યું હતું કે,’’ તમે જનસંઘને કુચડવાની વાત કરો છો ત્યારે મારે તમને કહેવું છે કે હું તમારી આ કચડી નાંખવાની માનસિકતાને જ હંમેશા માટે કચડીને ફેંકી દઈશ’’.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને અલગ દરજ્જો અને પ્રવેશ માટે પરમીટપ્રથા લાગુ થઇ ગઈ હતી.તે મુજબ કોઈપણ ભારતીયને આઝાદ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પ્રવેશ લેવો હોય તો કેન્દ્રીય રક્ષા મંત્રાલયમાંથી પરમીટ લેવી ફરજીયાત હતી.તેનાં વિરોધ અને કાશ્મીરના ભારતમાં પૂર્ણ વિલયની માંગ સાથે પં.પ્રેમનાથ ડોગરાની અધ્યક્ષતામાં કાશ્મીરની ‘પ્રજા પરિષ’દ સંસ્થાએ આંદોલનો ચાલુ કર્યાં હતાં.તેમનાં પર શેખ અબ્દુલ્લા સરકાર દ્વારા અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યાં હતાં.પરંતુ નેહરુજીએ આ ઘટનાઓ પ્રત્યે પોતાનાં આંખ-કાન બંધ કરી દીધા હતા.

પ્રેમનાથ ડોગરાના આહ્વાન પર ડો.મુખરજીએ ‘એક દેશમેં દો વિધાન,દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’ના નારા સાથે સવિનય પરમીટ પ્રથાનો ભંગ કરી,પરમીટ વગર જમ્મુ જવાનું જાહેર કર્યું. ૮મી મેં ૧૯૫૩ના રોજ તેમણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી તેમની યાત્રા ચાલુ કરી.શરૂઆતમાં તેમની પંજાબમાં જ ધરપકડ કરી લેવી તેવી સુચના આવી પરંતુ ફરીથી એવી સુચના આવી કે તેમને પરમીટ વગર કાશ્મીરમાં પ્રવેશ કરવા દેવો અને ત્યારબાદ કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ તેમની ધરપકડ કરવી.આ ઘટનાથી સ્પષ્ટ ખ્યાલ આવે કે તેમને ચતુરાઈથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવા દીધો અને ત્યારબાદ ત્યાંની સરકાર દ્વારા ધરપકડ કરાઈ જેથી આ મામલો ભારતના ઉચ્ચ ન્યાયાલયનાં અધિકાર ક્ષેત્રથી બહાર જતો રહે.જો તેમની ધરપકડ પંજાબમાં કરી હોત તો તેઓ આસાનીથી જામીન મેળવી છૂટી શક્યા હોત.

ધરપકડ બાદ ડો.શ્યામાપ્રસાદ મુખરજીને એક જીપમાં નિર્જન જગ્યાએ એક નાની એવી ઝૂંપડી જેવા ઘરમાં રાખવામાં આવ્યાં.ત્યાં તેમની તબિયત ખરાબ થઇ છતાં કોઈ યોગ્ય સારવાર પણ ના આપી. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને સાંસદ હોવા છતાં ડો.મુખરજીને સારવાર માટે વીઆઈપી વોર્ડને બદલે સગવડ વગરના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.અંતે ૨૩મી જુન ૧૯૫૩ના રોજ સંદિગ્ધ હાલતમાં તેમનું મૃત્યુ થયું.

ડો.મુખરજીના દિવંગત દીકરી સબીતા બેનરજીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે,તેમને તે સમયે દવાખાનામાં રહેલી નર્સ રાજદુલારી ટીક્કુએ જણાવ્યું હતું કે, મૃત્યુ પહેલાં ડો.મુખરજીને કોઈએક એવું ઇન્જેક્શન ડોક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું જેનાંથી તેઓ એવું બોલી રહ્યા હતા કે તેમને આખા શરીરમાં આગ જેવી બળતરા થઇ રહી છે.

આ બધી વિગતો પરથી એક વાત સ્પષ્ટ જણાય આવે છે કે ડો.મુખરજીનું મૃત્યુ કોઈ કુદરતી મૃત્યુ નહોતું.પરંતુ એક આયોજનબદ્ધ કાવતરું હતું.

ગુરુવાર, 2 એપ્રિલ, 2020

સત્તા નહીં – રાષ્ટ્રહિત સર્વોપરી : દેશની પ્રથમ સરકારના ઉદ્યોગમંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું અધવચ્ચે જ રાજીનામું.

દેશના પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં હતા. પરંતુ નીતિવિષયક બાબતો અને ખાસ કરીને પાકિસ્તાન મામલે શરૂઆતથી જ તેમનાં અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા હતા.પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ શરણાર્થીઓ બાબતે તેઓ બહુ ચિંતિત હતા.એક તરફ પાકિસ્તાનીઓ દ્વારા પૂર્વી બંગાળનાં શાંતિપ્રિય હિન્દુઓનો નરસંહાર ચાલુ હતો અને બીજી તરફ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ત્યાં છુટી ગયેલી જમીન જેટલી જ જમીન ભારતમાં આપવી તેમજ પુનર્વસન માટે આર્થિક મદદ પણ આપવાની ડો.મુખરજીની માંગણીનો નેહરુ અસ્વીકાર કરી રહ્યા હતા.આ બાબતે નેહરુ અને ડો.મુખરજી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ પણ થઇ હતી.અંતે બંને વચ્ચેના વૈચારિક મતભેદો ચરમસીમા પર પહોંચી ગયા હતા.

૧૯૫૦ના ફેબ્રુઆરી મહિનામાં પૂર્વી પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાંથી હિન્દુઓનું નામોનિશાન ભૂંસી નાખવા માટે હિંદુ વિરોધી અભિયાન ચલાવ્યું હતું.હિંદુઓ પર થયેલાં અમાનુષી અત્યાચારોને લીધે ત્યાંના હિન્દુઓ મોટી સંખ્યામાં ભારત આવ્યા અને પશ્ચિમ બંગાળ,ત્રિપુરા,આસામ તથા ભારતના અન્ય હિસ્સામાં આવીને વસવાટ કર્યો.આ સમસ્યાના સમાધાન માટે નેહરુએ પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી લિયાકત અલી સાથે એક કરાર કરવાનું નક્કી કર્યું અને તેનાં માટેની કોશિષો શરુ કરી.ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ તેનો શરૂઆતથી જ વિરોધ કર્યો હતો.ડો.મુખરજીનું કહેવું હતું કે,’’હિંદુ વિરોધી આ અભિયાનની આયોજક જ આ લિયાકત સરકાર છે.એવામાં ચોરી કરનારાઓ સાથે જ ચોરી રોકાવવા માટેની સંધી કરવાની તમારી કોશિષ નરી મૂર્ખતા છે.’’

ડો.મુખરજીએ નેહરુની વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ સામે દેશહિત અને હિંદુહિતની રક્ષા માટે અવાજ ઉઠાવ્યો,લિયાકત સંધિનો તર્કબદ્ધ દલીલો સાથે વિરોધ કર્યો પણ નેહરુએ તેની વાતને સાંભળી નહીં. અંતે ડો.મુખરજીએ મંત્રીમંડળમાંથી ૮ એપ્રિલ,૧૯૫૦ના રોજ રાજીનામું આપ્યું.જો તેઓ ઈચ્છતા તો હજુ બીજા બે વર્ષ સુધી પ્રધાન રહી શક્યાં હોત પરંતુ તેમના માટે સત્તા નહીં,રાષ્ટ્રહિત અને હિન્દુહિત સર્વોપરી હતું તેથી પોતાનાં સિદ્ધાંતો ખાતર સતાનો પણ ત્યાગ કરતાં તેઓ સહેજ પણ અચકાયા નહીં.

કેબિનેટમાંથી રાજીનામું આપતી વખતે ડો.મુખરજીએ કહ્યું હતું કે.’’સરકાર સાથેના અમારા વૈચારિક મતભેદોમાં મૂળભૂત રીતે બહુ મોટો તફાવત છે.તેથી જે સરકારની નીતિઓ સાથે આપણે મનથી સહમત ના હોઈએ તે સરકારમાં જોડાયેલા રહેવું તે પોતાની જાતને છેતરવાથી વિશેષ કંઈ નથી.’’

રાજીનામાં બાદ સરકારની બહાર રહી ડો.મુખરજીએ નેહરુની દેશવિરોધી અને હિંદુવિરોધી નીતિઓ વિરુદ્ધ દેશના વિપક્ષને એક કરવાનું કામ કર્યું,જનજાગરણ કાર્યક્રમો કર્યા. તેનાં પરિણામે નેહરુ-લિયાકત સંધિના મૂળ મુસદ્દામાં ભારતની વિધાનસભાઓ અને વિવિધ સેવાઓમાં મુસ્લિમોને આરક્ષણ આપવાનું જે પ્રાવધાન હતું તેને નાબુદ કરાવવામાં સફળતા મળી હતી.

રાજીનામું આપ્યા બાદ ૧૯ એપ્રિલ,૧૯૫૦ના રોજ સંસદમાં પોતાનાં રાજીનામાં અંગે જે વક્તવ્ય આપ્યું તે ભારત-પાકિસ્તાનના સંબધો બાબતે એક ગરીમાયુક્ત અને ભાવનાત્મક દસ્તાવેજ બની ગયો છે.નેહરુ-લિયાકત સંધિ એ મૂળભૂત સમસ્યાનું સમાધાન શા માટે નથી તે માટેનાં આ વક્તવ્યમાં આપેલાં કારણો આજે પણ એટલાંજ યથાર્થ અને સચોટ જણાય છે.

બુધવાર, 1 એપ્રિલ, 2020

આઝાદ ભારતના પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું યોગદાન.

આઝાદ ભારતની પ્રથમ જવાહરલાલ નેહરુની સરકારમાં ફક્ત ૨ વર્ષ માટે દેશના ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ જે કાર્યો કર્યા તે ખુબ જ સરાહનીય તથા નોંધનીય છે.ભારતના ઓદ્યોગિક વિકાસનો પાયો તૈયાર કરનાર ડો.મુખરજીના આ યોગદાન અંગે બહુ ઓછાં લોકોને ખ્યાલ હશે કારણકે જાણી જોઇને તેમનાં આ પાયારૂપ કાર્યની હંમેશા અવગણના કરવામાં આવી છે.જે કુનેહથી તેઓએ ઔદ્યોગિક વિકાસમાં આડખીલીરૂપ સમસ્યાઓનું સમાધાન કર્યું તેમજ ઔદ્યોગિક નીતિઓ બનાવી તેની પ્રશંસા તે સમયે તેમના વિરોધીઓએ પણ કરવી પડી હતી.કૃષિ પ્રધાન ભારતના ઔદ્યોગિક વિકાસ માટે તેમની પાસે સ્પષ્ટ આયોજન હતું.તેઓ માનતા હતા કે આપણાં દેશે હજુ ફક્ત રાજનૈતિક આઝાદી પ્રાપ્ત કરી છે પરંતુ દેશની રક્ષા તેમજ વિકાસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા સાથેની દેશની આર્થિક આઝાદી પ્રાપ્ત કરવાની દિશામાં હવે કામ કરવાનું છે.

દેશનાં પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે તેમણે જે કંઈ કાર્ય કર્યું તેની માહિતી,આંકડાઓ તથા વિવરણ ખરેખર રસપ્રદ છે.ખુબ જ ઓછાં સંશાધનો તથા ઓછામાં ઓછાં મૂડીરોકાણ દ્વારા દેશને પગભર કરવો એ બહુ મોટો પડકાર હતો.સંપૂર્ણ રાષ્ટ્રીયકરણના વિચારના તેઓ સમર્થક નહોતાં.તેઓ કહેતાં કે,’’બધાં ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી તેને સુચારુરૂપે ચલાવવા માટેનાં પૂરતાં સંશાધનો,નિપુણતા તથા પ્રશિક્ષિત લોકોની ખોટ છે ત્યારે યુવાનોને કૌશલયુક્ત બનાવી ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.’’તેઓ કૃષિક્ષેત્ર તથા ઉદ્યોગક્ષેત્રમાં નવી ટેકનોલોજીના હિમાયતી હતા.૧૯૪૮માં ભારત સરકારે જે ઔદ્યોગિક નીતિની ઘોષણા કરી તેમાં ડો.મુખરજીના વિચારોનું પ્રતિબિંબ દેખાઈ આવે છે.

૧૯૪૮ થી  ૧૯૫૦ના તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે ‘અખીલ ભારતીય હસ્તશિલ્પ બોર્ડ’, ’અખીલ ભારતીય હસ્તચરખા બોર્ડ’ તથા ‘ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ બોર્ડ’ની રચના કરી હતી.આ સંસ્થાઓના માધ્યમથી દેશના સુક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોનો વિકાસ કરી દેશનાં અર્થતંત્રને જીવીત કરવાનો તેમનો ધ્યેય હતો.તેમનાં જ કાર્યકાળમાં ‘વસ્ત્ર અનુસંધાન સંસ્થાન’ તથા ‘ઔદ્યોગિક નાણા નિગમ’ની પણ રચના થઇ હતી.સદીઓથી અસંગઠિત રીતે ચાલી રહેલા ભારતીય રેશમ ઉદ્યોગનાં વિકાસ માટે ૧૯૪૯માં ડો.મુખરજીએ ‘કેન્દ્રીય રેશમ બોર્ડ’ની પણ સ્થાપના કરી હતી.

આઝાદ ભારતની આત્મનિર્ભરતા માટેની ચાર મહત્વની પરિયોજનાઓની શરૂઆત કરવાનો શ્રેય પણ પ્રથમ ઉદ્યોગમંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફાળે જ જાય છે.૧૯૪૮માં પશ્ચિમ બંગાળના ચિતરંજન ખાતે સ્વચાલિત રેલ્વે એંજીન કારખાનાની શરૂઆત થઇ, જેમાં ૧૯૫૦માં ‘દેશબંધુ’ નામથી દેશનાં પ્રથમ સ્વચાલિત રેલ્વે એંજીનનું નિર્માણ થયું હતું.ડો.મુખરજીએ હિન્દુસ્તાન એયરક્રાફ્ટ ફેક્ટરી ને લીમીટેડ કંપનીમાં તબદીલ કરી તેને પુનર્જીવિત કરી હતી.બાદમાં ડો.મુખરજીના સતત માર્ગદર્શન હેઠળ આ ફેક્ટરીમાં ઇન્ડીયન એરફોર્સ માટે જેટ એરક્રાફ્ટના એસેમ્બલીંગનું કામ થયું,ભારતીય રેલ માટે ‘સ્ટીલ રેલ કોચ’ તથા પરિવહન માટેની બસના ઢાંચા બનાવવાનું કામ પણ થયું.

ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની કલ્પના પણ ડો.મુખરજીની હતી.ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના માટેની સંધી તેમના દ્વારા થઇ હતી તેને લીધે જ ૧૯૫૫માં તેની સ્થાપના સંભવ બની હતી.ન્યુઝપ્રિન્ટનું ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે ડો.મુખરજીએ મધ્યપ્રદેશમાં ‘રાષ્ટ્રીય ન્યુઝપ્રિન્ટ તથા પેપર મિલ્સ લીમીટેડ’ની સ્થાપના કરી હતી.ડો.મુખરજીની ઈચ્છા હતી કે ખાતરના ઉત્પાદનમાં ભારત સ્વનિર્ભર બને.તેમણે બિહારના ધનબાદ પાસે ખાતરના વિશાળ તથા આધુનિક કારખાનાની પણ સ્થાપના કરી હતી.તે જ રીતે બહુહેતુક પરિયોજના ‘દામોદર ઘાટી નિગમ (ડીવીસી)’ પણ ડો.મુખરજીની દુરંદેશી તથા પ્રશાસકીય કુનેહનું જ પરિણામ છે.આ યોજનાને સફળ બનાવવા માટે તેમણે કેન્દ્ર સરકાર,બિહાર સરકાર અને બંગાળ સરકાર વચ્ચે સહયોગનો સેતુ રચ્યો હતો.’દામોદર ઘાટી નિગમ’ બિહાર તથા બંગાળમાં ફેલાયેલી એક બહુ મોટી પરિયોજના છે.જે સિંચાઈ,જળ વ્યવસ્થાપન તથા ઉર્જાનો બહુ મોટો સ્ત્રોત છે.

વિશાળ ઔદ્યોગિક યોજનાઓની સાથે-સાથે ડો.મુખરજી લઘુ ઉદ્યોગો માટે બહુ સંવેદનશીલ હતા.લઘુ ઉદ્યોગોની સમસ્યાઓના નિરાકરણ તથા તેની આર્થીક મજબુતી માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો.તમિલનાડુ સ્થિત માચીસ ઉત્પાદન કરતા ૨૦૦ જેટલાં લઘુ-કુટીર ઉદ્યોગો માટે સીધો હસ્તક્ષેપ કરી તેમને જરૂરી તમામ સંશાધનો પુરા પાડ્યા હતા તેમજ માચીસ પરનાં ઉત્પાદન શુલ્કમાં પણ મોટી રાહત આપી હતી તથા કાચામાલની પૂર્તિ અને તૈયાર માલના વિતરણને સરળ કરવા માટે આર્થિક સહાયતા માટેની યોજના પણ અમલમાં મૂકી હતી.

આમ,આઝાદી બાદ દેશનો આર્થીક પાયો મજબૂત બનાવવામાં દેશનાં પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે.

મંગળવાર, 31 માર્ચ, 2020

એક વિચક્ષણ રાજનેતા,પ્રખર દેશભક્ત,શિક્ષણવિદ અને હિન્દુહિત રક્ષક - ડો.શ્યામાપ્રસાદ મુખરજી

માત્ર ૫૨ વર્ષના અલ્પકાલીન આયુષ્યમાં જાહેરજીવનની મહતમ ઉંચાઈઓ પર પહોંચી,પોતાના પવિત્ર જીવન,મૂલ્યનિષ્ઠ રાજનીતિ,ઉત્કૃષ્ટ રાષ્ટ્રપ્રેમ અને વિચક્ષણ બુદ્ધિક્ષમતા દ્વારા ભારતીય ઇતિહાસમાં જેમણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે એવાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ જુલાઈ ૧૯૦૧ના કલકતામાં થયો હતો.’બંગાળ ટાઈગર’ના નામે સુવિખ્યાત મહાન શિક્ષણશાસ્ત્રી સર આશુતોષ મુખરજીના પુત્ર ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ તેમના જાહેર જીવનનો પ્રારંભ એક શિક્ષણવિદ તથા વકીલના રૂપમાં કર્યો હતો.

કલકતા યુનીવર્સીટીમાં સર્વોચ્ચ સ્થાન સાથે ઉતીર્ણ થયા બાદ તેઓએ કાયદાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ બેરિસ્ટર બનવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા.બ્રિટનમાં જઈ તેમણે ત્યાંની યુનીવર્સીટીઓ અને તેની કાર્યપ્રણાલીઓનો પણ અભ્યાસ કર્યો.ઇંગ્લેન્ડથી પરત આવીને માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં તેઓ કલકતા યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય પદે ચૂંટાયા હતા.માત્ર ૩૩ વર્ષની ઉંમરમાં તેઓ કલકતા યુનીવર્સીટીના ઉપકુલપતિ બની ગયા અને ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી કલકતા યુનીવર્સીટીના ઉપકુલપતિ તરીકે તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

એન.સી.ચેટરજી(પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીના પિતા),આસુતોષ લાહિડી,જસ્ટીસ મન્મથનાથ મુખરજી તથા ભારત સેવાશ્રમ સંઘના સંસ્થાપક સ્વામી પ્રણવાનંદ મહારાજની પ્રેરણાથી ડો.શ્યામાપ્રસાદ મુખરજી સક્રિય રાજનીતિમાં જોડાયા.પરંતુ તે સમય બંગાળની રાજનીતિનો બહુ કઠીન સમય હતો.કોંગ્રેસ બંગાળમાં બહુ મજબુત હતી પરંતુ મુસ્લિમલીગના દબાવમાં આવી કોંગ્રેસ હિંદુ અધિકારો બાબતે કંઈ બોલવા પણ તૈયાર નહોતી.

૧૯૩૯માં અખીલ ભારતીય હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકર(વીર સાવરકર) બંગાળ આવ્યા હતા.તે સમયે ડો.મુખરજી ફજલુલ હકના નેતૃત્વમાં ચાલી રહેલી ‘કૃષક પ્રજા પાર્ટી’ના સમર્થક હતા.ત્યારબાદ બંગાળમાં મુસ્લિમલીગ અને કૃષક પ્રજા પાર્ટીની ગઠબંધન સરકાર રચાઈ હતી.ગઠબંધન સરકાર બન્યા બાદ બંગાળમાં મુસ્લિમોના હિત માટેના અને હિંદુઓ વિરુદ્ધના એક પછી એક કડક કાયદાઓ અમલમાં લાવવાનો દૌર શરુ થયો હતો.આ બધાંથી વ્યથિત થઇ હિંદુહિતની રક્ષા માટે ડો.મુખરજી હિંદુ મહાસભામાં જોડાયા અને બંગાળની સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો.હિંદુ મહાસભામાં જોડાયા બાદ પ્રથમ વર્ષમાં જ તેઓએ સમગ્ર બંગાળનો પ્રવાસ કર્યો અને હિન્દુઓને તેમનાં મતભેદો ભૂલી એક થવા આહ્વાન કર્યું.તેમનાં ઉર્જાવાન નેતૃત્વને કારણે બંગાળની હિંદુ મહાસભામાં નવા પ્રાણ ફૂંકાયા અને પાર્ટી એકજુથ બની.

૧૯૪૦માં ડો.મુખરજીને હિંદુ મહાસભાના રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ બનાવામાં આવ્યા હતા.તે દરમિયાન તેઓએ દેશવ્યાપી પ્રવાસ દ્વારા જન-જન સુધી પહોંચવાનું શરુ કર્યું.આ પ્રક્રિયામાં તેઓ ખુબ ઝડપથી રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા હતા.તેઓ સમગ્ર દેશનાં હિંદુઓ માટે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.પોતાની સંગઠનાત્મક કુશળતા,ઉદેશ્ય પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા વકૃત્વશક્તિને લીધે તેઓ ભારતમાં ખુબ લોકપ્રિય બની ગયા હતા.૧૯૪૦ના વર્ષમાં તેઓએ લાહોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘‘ભારત ઉપર ઘેરાયેલાં અસમાનતા અને ગુલામીના વાદળો વચ્ચે હું આ સંગઠનને આશાના એક કિરણ તરીકે જોઈ રહ્યો છું.’’


ડો.મુખરજીએ બંગાળની મુસ્લિમલીગ સરકારની ભયાનક નીતિઓ વિરુદ્ધની લડાઈને આગળ વધારતા તેમનાં વાંધાજનક વિધેયકોનો વિધાનસભા સદનમાં અને સદનની બહાર જોરદાર વિરોધ કર્યો અને સફળતા મેળવી.
ડો.મુખરજીએ બંગાળમાં તેમની રાજનૈતિક કુનેહથી કૃષક પ્રજા પાર્ટી કે જે મુસ્લિમલીગની સહયોગી પાર્ટી હતી તેને મુસ્લિમલીગથી અલગ કરી અને હિંદુ મહાસભા અને કોંગ્રેસના ગઠબંધનમાં ફ્જલુલહકના નેતૃત્વમાં નવી સરકાર બનાવી અને તેઓએ તે સરકારના કેબીનેટમંત્રી તરીકે સમગ્ર બંગાળમાં ખુબ લોકચાહના મેળવી હતી.
૧૯૪૨માં બંગાળના મદીનાપુરમાં ભયાનક વાવાઝોડું-તોફાન આવ્યું હતું તે સમયે આફતગ્રસ્ત લોકોને બ્રિટીશ સરકારે તો કંઈ મદદ ના કરી પરંતુ ડો.મુખરજી તથા તેમનાં મંત્રીમંડળને પણ મદદરૂપ થતાં અટકાવ્યા હતા.તેનાંથી વ્યથિત થઇ ડો.મુખરજીએ ૧૬,નવેમ્બર ૧૯૪૨ના રોજ બંગાળના ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું અને તેઓ પૂરપીડીતોની વચ્ચે સેવાકાર્યમાં લાગી ગયા.
આ દરમિયાન અંગ્રજોએ ધર્મના આધારે ભારતના ભાગલા કરવાના ક્રિપ્સ પ્રસ્તાવને પુનઃ અમલમાં લાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો હતો.મુસ્લિમ લીગે પણ આ પ્રસ્તાવને આધારે મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની માંગ તેજ કરી હતી.કોંગ્રેસ પાર્ટીની પણ આ મામલે મુકસંમતિ હતી.મુસ્લિમલીગ સંપૂર્ણ પંજાબ અને બંગાળ પાકિસ્તાનમાં ભેળવવા માંગતી હતી.તેનાં માટે મુસ્લિમલીગે બંગાળમાંથી હિન્દુઓને બહાર ધકેલવાના બદઈરાદાથી હિંદુ બહુમતીવાળા વિસ્તારોમાં દંગા,મારપીટ અને લુંટફાટ ચાલુ કરાવી દીધી હતી.તે વખતે ડો.મુખરજી દ્વારા રચિત હિન્દુસ્તાન નેશનલ ગાર્ડ નામના સંગઠનના સ્વયંસેવકો અને જાગૃત હિંદુઓએ ડો.મુખરજીના નેતૃત્વમાં મુસ્લિમલીગના આતતાયીઓનો મજબુત સામનો કર્યો અને બંગાળને હિન્દુમુક્ત બનવવાની મુસ્લિમલીગની યોજનાને અસફળ બનાવી.ડો.મુખરજીએ મુસ્લિમલીગની કુટનીતિની ગંભીરતા સમજીને તાત્કાલિક નિર્ણય લીધો કે બંગાળના હિંદુ બહુમતી ધરવતા પશ્ચિમ ભાગને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વીય ભાગથી અલગ કરી દેવામાં આવે. તે જ રીતે પંજાબમાં પણ કર્યું.કારણ કે તેમનું દ્રઢપણે માનવું હતું કે વિભાજન બાદ જો આ બંને પ્રદેશ પૂર્ણરૂપે પાકિસ્તાનમાં ગયા તો ભવિષ્યમાં ત્યાંના હિન્દુઓનું અસ્તિત્વ સંપૂર્ણ ખતમ થઇ જશે.ડો.મુખરજીના પ્રયાસોથી આ મુદ્દો જનઆંદોલન બની ગયો અને બ્રિટીશ સરકારે બંગાળ અને પંજાબનું આ પ્રમાણે વિભાજન કરવું પડ્યું.જો તે વખતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ પૂરી તાકાત અને નિષ્ઠાથી સંઘર્ષ ના કર્યો હોત તો આજનું પશ્ચિમ બંગાળ અને પંજાબ ભારતના નકશામાં ના હોત.